Gandhinagar News : ગાંધીનગરના સેક્ટર 4માં બગીચા પાસે આવેલા સુલભ શૌચાલય નજીકના ઝુંપડામાં 11 એપ્રિલ, 2025એ આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવા ઝુંપડા તરફ ગઈ એટલામાં ગેસ સિલિન્ડર ફાટયો હતો. આ દુર્ઘટનામાં ધડાકાભેર ફાટેલા સિલિન્ડરને કારણે આગ બુઝાવવા ગયેલા ચાર ફાયર જવાનો દાઝ્યા હતા, જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યારે આજે શુક્રવારે (18 એપ્રિલ, 2025) ફાયર બ્રિગેડનો એક જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
ફાયર બ્રિગેડના જવાનનું સારવાર દરમિયાન મોત
ગાંધીનગરના સેક્ટર 4માં બગીચા પાસે આવેલા સુલભ શૌચાલય નજીકના ઝુંપડામાં 11 એપ્રિલે આગ લાગી હતી. ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. એટલામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ફાયરના મહાવીરસિંહ ચૌહાણ, રણજિત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ એમ ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ચારેય ઘાયલ ફાયર જવાનની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેમાં રણજિત ઠાકોર નામના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉનાવાના ઠાકોર પરિવારને ત્રણ દીકરાઓ હતા, જેમાંથી સૌથી નાનો ભાઈ રણજીત હતો.